Mamata Banerjee Attack on BJP : ગુજરાતમાં દિકરી-મહિલાઓ અડધી રાત્રે પણ બિન્દાસ થઇને ફરી શકે છે તેવા દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે શાંત-સલામત ગુજરાતમાં નરાધમો દિકરી-મહિલાઓને નિશાન બનાવી રહ્યાં છે. દિવસે દિવસે બળાત્કારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવા તકીયા કલામ સાથે ગૃહમંત્રી બણગાં મારી રહ્યાં છે પણ વાસ્તવિકતાએ છે કે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી જાણે કથળી રહી છે તેવુ ગુજરાતની જનતા અહેસાસ કરી રહી છે.
કોલકત્તામાં બળાત્કારની ઘટના થઇ ત્યારે મમતા દીદીને સલાહ આપી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી. પણ ગુજરાતમાં ઝઘડિયામાં એક માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી જધન્ય કૃત્ય આચરવામાં આવ્યું ત્યારે સંવેદનનો એક હરફ ઉચ્ચારવામાં આવ્યો નહી. આ મામલે મુખ્યમંત્રીથી માંડીને ભાજપના બધાય નેતાઓના હોઠ સિવાઇ ગયા હતાં. આ બેધારી નીતિને કારણે ચારેકોર ટીકા થઇ રહી છે.
ગુજરાતમાં દિકરી-મહિલાઓ સલામત નથી તેવી પરિસ્થિતી પરિણમી છે તેમ છતાંય સરકાર-ગૃહવિભાગના પેટનું પાણી હાલતુ નથી. સ્થિતી એટલી હદે કથળી છેકે, ગુજરાતમાં છેલ્લાં એક જ વર્ષમાં 648 દિકરી-મહિલાઓ બળાત્કારનો ભોગ બની છે. આમ છતાંય સરકાર સલામત ગુજરાતની દુહાઇ આપી રહી છે. ઝઘડિયામાં એક માસુમ દિકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો જેણે હોસ્પિટલના બિછાને જ આખરી શ્વાસ લીધો હતો. આ ઘટનાએ ગુજરાતના કાયદા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યાં છે ત્યારે ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેલીઓ યોજાઇ રહી છે અને આરોપીને કડકમાં કડક શિક્ષા કરવા માંગ ઉઠી છે.
દરમિયાન, કાંકરિયા કાર્નિવલ વખતે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં કાર્યકરોએ ઝઘડિયા બળાત્કાર કાંડના આરોપીને ફાંસી આપો તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતાં જેના પગલે વિરોધ પ્રદર્શન કરતાં લોકોની પોલીસે અટકાયત કરી હતી. બધાય કાર્યકરોને મણિનગર પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં. વિરોધ કરનારાઓનું કહેવુ છે કે, બળાત્કારની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. એટલુ જ નહીં, દિકરી-મહિલાઓ અસલામતી અનુભવી રહી છે તેમ છતાં સરકારને કઇં પડી નથી.
પાંચ વર્ષમાં બળાત્કારની 2766 ઘટના
ગુજરાતમાં છેડતી-બળાત્કારની ઘટનાઓમાં દિનેદિને વધારો થઇ રહ્યો છે. કાયદાનો જાણે કોઇને ડર રહ્યો ન હોય તેવી સ્થિતી પરણિમી છે ત્યારે ગુજરાતમાં દિકરી-મહિલાઓ અસલામતી અનુભવી રહી છે. સલામત ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં જ બળાત્કારની કુલ મળીને 2766 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. રાજ્ય સરકાર સલામત ગુજરાતની ભલે ડીંગો હાંકે પણ વાસ્તવિકતા એ છે કે, ગુજરાત વર્ષે દહાડે સરેરાશ 500થી વધુ બળાત્કારની ઘટના બની રહી છે.